કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે દિલ્હીની સીમા પર આંદોલન કરી રહેલા ખેડૂતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જોકે કોર્ટે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, ખેડૂતોને પ્રદર્શન કરવાનો અધિકાર છે અને આ માટે કોર્ટ તેમને રોકશે નહી.ખેડૂતોના દેખાવોમાં અત્યાર સુધી કોઈ પણ વસ્તુને નુકસાન થયુ નથી એટલે આંદોલન યોગ્ય જ છે.જોકે કોર્ટે માન્યુ હતુ કે, આ આંદોલનથી બીજા લોકોને પરેશાની ના થાય તે માટે આંદોલન કરવાનો પ્રકાર બદલાવો જોઈએ.

ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શરદ બોબડેએ કહ્યુ હતુ કે, જો એટોર્ની જનરલ આશ્વાસન આપે કે , કૃષિ કાયદા હમણાં લાગુ નહી થાય અને કોઈ બીજી કામચલાઉ કાર્યવાહી કરવામાં નહી આવે તો સુપ્રીમ કોર્ટ સમિતિ બનાવવા પર આગળ વધશે.

જેના જવાબમાં એટોર્ની જનરલે કહ્યુ હતુ કે, આ અંગે સરકાર સાથે વાત કરીને હું સુપ્રીમ કોર્ટને જાણ કરીશ.એ પછી કોર્ટે કહ્યુહ તુ કે, હાલમાં ખેડૂત સંગઠનોને પિટિશન કરનાર પોતાની પિટિશન મોકલી આપે અને જરુર પડે તો તેની આગળ સુનાવઈ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે એવુ સૂચન સરકારને સુનાવણી દરમિયાન આપ્યુ હતુ કે, થોડા સમય માટે નવા કાયદાનો અમલ રોકવામાં આવે જેથી ખેડૂતો સાથે વાતચીત શકય બનશે. દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે, આંદોલન કરવુ એ ખેડૂતોનો મૌલિક અધિકાર છે પણ તેમાં બીજાના અધિકારો પણ યથાવત રહે તે પ્રકારે સંતુલન હોવુ જરુરી છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે, લોકો યુપીથી હરિયાણા નોકરી કરવા જાય છે અને તેઓ આ આંદોલનના કારણે છેલ્લા કેટલાય દિવસોથી હેરાન થઈ રહ્યા છે.જેના પર કોર્ટે કહ્યુ હતુ કે, આ વાત સાચી છે પણ પ્રદર્શન કરવુ પણ ખેડૂતોનો અધિકાર છે.